જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું. આજે રવિવારે(12 જુલાઈ) મહેમદાવાદના મોદજ ગામમાં 11 વર્ષના માસૂમની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું. અંતિમયાત્રામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દુઃખદ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત 11 જુલાઈ, 2026ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર ગિરનારની યાત્રાએ ગયો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે અચાનક પરિવારના 11 વર્ષીય મયુરસિંહને સિંહ મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. જેમાં ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
50 પગથિયાં ચડતા જ સિંહે પાછળથી બાળક પર હુમલો કર્યો
મૃતક બાળકના કૌટુંબિક કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, ‘પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી 11 વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.’
ચીસાચીસ અને ભારે દોડધામ બાદ જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી હતી.